26 ઘેલાં અમે ભલે થયાં રે


ઘેલાં અમે ભલે થયાં રે,
બાઈ મારે ઘેલામાં ગુણ લાધ્યો.

આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું
મન માયામાં બાંધ્યું,
ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે,
મારગ મળિયા સાધુ
ઘેલા…

ઘેલાં તો અમે હરિનાં ઘેલાં,
નિર્ગુણ કીધાં નાથે,
પૂર્વજન્મની પ્રીત હતી
ત્યારે હરિએ ઝાલ્યાં હાથે
ઘેલાં…

ઘેલાંની વાતો ઘેલાં જ જાણે,
ને દુનિયા શું જાણે વળી ?
જે રસ તો દેવતાને દુર્લભ,
તે રસ ઘેલાં માણે જરી
ઘેલાં…

ઘેલાં મટી અમે ડાહ્યા ન થઈએ
ને સંતના શરણાં લીધાં,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
કારજ સઘળાં સીધ્યાં
ઘેલાં…


Leave a Reply

Your email address will not be published.