95 ગિરિ કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ


ગિરિ કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ,
આપ ગોવર્ધન નાથ રે;
નંદ જશોમતિ કેરા લાલા,
વ્રજ સૌ કીધું સનાથ;
ગોવર્ધન રસિયા રે……

મારે મન વસિયા વ્રજનાથ,
મધુરુ વ્હાલો હસિયા રે
શ્રાવણ સુદપાંચમના દહાડે,
થયું ભુજા દરશન રે;
ગિરિ કંદરામાં બિરાજે વ્હાલો,
શું કહુ પ્રસન્ન વદન;
ગોવર્ધન રસિયા રે……

ઘણા દિવસ ભુજાનું પૂજન,
ચાલ્યું વ્રજમાંય રે;
દૂધ લઈને સ્નાન કરાવે,
મહિમા કહયો ન જાય;
ગોવર્ધન રસિયા રે……

છિદ્ર સહિત શિલા ગિરિવરની,
તેમાં શ્યામ સ્વરૂપ રે;
એક ગાય ત્યાં નિત્ય જાય છે,
દૂધ સ્ત્રવે તદ્ રૂપ;
ગોવર્ધન રસિયા રે……

એક બ્રાહ્મણની ગાય હતી તેણે,
પુછ્યુ ગોવાળિયાને પેર રે;
દૂધ ઘટે છે નિત્ય કેમ મારુ,
દોહિ લઈ જાય તું ઘેર;
ગોવર્ધન રસિયા રે……

ત્યારે ગોવાળિયાએ એમ કહયું,
ખબર કાઢું નિરધાર રે;
કોણ પ્રકાર થાય છે આ ગૌનો,
કહું સમજાવી સાર રે;
ગોવર્ધન રસિયા રે……

સાંજ સવાર ગૌ ટોળામાંથી,
ગિરિવર ઉપર જાય રે;
ઊભી રહીને દૂધ સ્ત્રવે નિત્ય,
પ્રાણજીવનને પાય;
ગોવર્ધન રસિયા રે……

ગૌ પ્રકાર જોઈ ગોવાળિયો,
બ્રાહ્મણને લાગ્યો સંગ રે;
અચરજ જોઈ વિસ્મય થયું મન,
કહાવ્યું સૌને ઉમંગે;
ગોવર્ધન રસિયા રે……

સૌ વ્રજવાસી ગિરિ પર આવ્યાં,
બોલ્યા મુખથી બોલ રે;
કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમ,
કીધો મુખથી તોલ;
ગોવર્ધન રસિયા રે……

ગિરિ શીલા ઊંચકીને જોયું,
તો દીઠા સુંદર શ્યામ રે;
પૂછ્યું દેવતા પર્વત કેરા,
શું છે તમારું નામ;
ગોવર્ધન રસિયા રે……

પ્રાણજીવન ત્યારે એમ બોલ્યા કે,
દેવદમન મુજ નામ રે;
મહિમા ચાલ્યો વ્રજમાં ઝાઝો,
પૂર્ણ કરે મન કામ;
ગોવર્ધન રસિયા રે……

દહીં દુધ વ્રજવાસી કેરા,
આરોગે નંદ લાલ રે;
ઝાર ખંડમાં જઈ મહાપ્રભુજીને,
આજ્ઞા કરી તત્કાલ;
ગોવર્ધન રસિયા રે……

ઈન્દ્ર નાગ ને દેવદમન તે,
પ્રગટ થયા વ્રજમાંહે રે;
ગિરિવર ઉપર આપ પધારી,
સેવા ચલાવોને ત્યાંહ;
ગોવર્ધન રસિયા રે……

મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા,
સદુ પાંડેને ઘેર રે;
વચન સુણ્યાં ગિરિવર પ્રભુના,
વાત પૂછી કરી પેર;
ગોવર્ધન રસિયા રે……

સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે,
પ્રાગટ્ય નો પ્રકાર રે;
દેવદમન નામે પ્રગટ્યા છે,
મહિમા અપરંપાર
ગોવર્ધન રસિયા રે……

ગિરિવર ઉપર આપ પધાર્યા,
સામા મળ્યા નિજનાથ રે;
અંગોઅંગ ભેટી સુખ ઉપજ્યું,
જોડ્યાં પછી બે હાથ;
ગોવર્ધન રસિયા રે……

ગોવર્ધન ઉદ્ધારણ ધીરનું,
નામ ધર્યુ શ્રીનાથ રે;
મોર પીંછનો મુગટ ધરાવ્યો,
બંસી દીધી હાથ;
ગોવર્ધન રસિયા રે…..

પાટે બેસાડીને ભોગ ધરાવ્યો,
ત્યાંથી પધાર્યા આપ રે;
નિજ જન મન આનંદ વધાર્યો,
દૂર કીધા તન તાપ
ગોવર્ધન રસિયા રે…..

ગિરિ કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ,
આપ ગોવર્ધન નાથ રે;
નંદ જશોમતિ કેરા લાલા,
વ્રજ સૌ કીધું સનાથ;
ગોવર્ધન રસિયા રે……


Leave a Reply

Your email address will not be published.