મેં પ્રભુના કાર્યને કદી,
પલટાતાં જોયા નથી;
આંસુઓને આંખમાં પાછા
જતાં જોયા નથી.
ખરતા નિહાળ્યા છે મેં ઘણા
આ ગગનથી તારાઓ;
પણ ચાંદ-સૂરજને કદી,
ખરી જતાં જોયા નથી.
મેં પ્રભુના કાર્યને કદી
પલટાતાં જોયા નથી
દોષ ન દે માનવી,
વાતા વિશ્વના વાયુને;
જળચરોને જળ મહીં,
રૂંધાતા કદી જોયા નથી.
મેં પ્રભુના કાર્યને કદી
પલટાતાં જોયા નથી
સાધનાઓ ખૂબ કીધી,
“નાઝીર” મેં આ વિશ્વમાં;
માનવીને મેં કદી
પ્રભુ થતાં જોયા નથી.
મેં પ્રભુના કાર્યને કદી
પલટાતાં જોયા નથી.