41 સદગુરુના વચનના થવા અધિકાર


સદગુરુ વચનના થવા અધિકારી
મેલી દો અંતરનું અભિમાન,
માન મેલીને તમે આવો મેદાનમાં,
સમજો ગુરુજીની શાન રે
સદગુરુના વચનના

અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે
હીં થાય સાચેસાચી વાત,
આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે
પ્રભુજી દેખાશે આપોઆપ રે
સદગુરુના વચનના

સત્સંગ રસ એ તો અગમ અપાર છે,
તે તો પીવે કોઈ પીવનહાર,
તનમનની જ્યારે સુધબુધ ભૂલાશે
ત્યારે અરસપરસ મળશે એકતાર રે
સદગુરુના વચનના

ધડ રે ઉપર જેને શીશ નવ મળે
એવો ખેલ છે ખાંડા કેરી ધાર,
એમ રે તમારું તમે શીશ ઉતારો
તો તમને રમાડું બાવન વાર રે
સદગુરુના વચનના

હું અને મારું ઈતો મનનું કારણ પાનબાઈ!
એ મન જ્યારે મટી જાય,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
ત્યારે અંતરમાં અલખ દેખાય રે
સદગુરુના વચનના


Leave a Reply

Your email address will not be published.