મન મરિયું તેને ત્યાગી કહીએ રે,
મરને વરતે વહેવાર માંય રે;
ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને,
તેને નહિ નડે માયાની છાંય રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે…
આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના,
આનંદ ઊપજ્યો અપાર રે;
વ્રતમાન બદલે પાનબાઈ ! તેનું રે,
જેને લાગ્યો વચનુંમાં તાર રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે…
આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને,
વરતી થઈ ગઈ સમાન રે;
ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને,
મટી ગયું જાતિનુંમાન રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે…
પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે,
વાસનાની મટી ગઈ તાણાવાણ રે;
ગંગાસતી એમ બોલિયાં રે,
જેને થઈ ગઈ સદ્દગુરુની ઓળખાણ રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે…